સ્પુટનિક પેઢી
મારો જન્મ ૧૯૪૪ માં અમેરિકામાં એક ખૂબ જ સામાન્ય પરિવારમાં થયો હતો. મારા પરિવાર પાસે બહુ પૈસા નહોતા, તેઓ ફક્ત કામ કરતા લોકો હતા, અને તેમની પાસે વધારે શિક્ષણ નહોતું. જોકે, નાનપણથી જ મને એશિયન વસ્તુઓમાં ખૂબ રસ હતો. મારો પરિવાર આને પ્રોત્સાહન આપતા નહોતા, પરંતુ તે અવરોધ પણ નહોતા કરતા, અને તે દિવસોમાં, એશિયા વિશે વધુ માહિતી ઉપલબ્ધ નહોતી. જ્યારે હું ૧૩ વર્ષનો હતો, ત્યારે મેં એક મિત્ર સાથે યોગ કરવાનું શરૂ કર્યું, અને મેં બૌદ્ધ ધર્મ, ભારતીય વિચાર, ચીની વિચાર વગેરે વિશે જે કંઈ ઉપલબ્ધ હતું તે બધું વાંચ્યું.
હું અમેરિકા જેને "સ્પુટનિક પેઢી" કહે છે તેનો ભાગ હતો. જ્યારે સ્પુટનિક અવકાશમાં ગયો, ત્યારે અમેરિકા ખૂબ જ નારાજ થઈ ગયું કારણ કે અમને લાગ્યું કે અમે રશિયાથી ઘણા પાછળ છીએ. શાળાના બધા બાળકોને, મારા સહિત, વિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેથી અમે રશિયા સાથે પહોંચી શકીએ. તેથી, ૧૬ વર્ષની ઉંમરે, હું રસાયણશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે રુટગર્સ યુનિવર્સિટી ગયો. રુટગર્સ યુનિવર્સિટી ન્યુ જર્સીમાં છે, જ્યાં હું મોટો થયો છું, અને જોકે ગેશે વાંગ્યાલ, એક કાલ્મીક મોંગોલ બૌદ્ધ ગુરુ, કદાચ ફક્ત ૫૦ કિલોમીટર દૂર રહેતા હતા, મને તેમના હયાતીનો કોઈ ખ્યાલ નહોતો.
મારા અભ્યાસના ભાગ રૂપે મેં એશિયન અભ્યાસક્રમનો એક વધારાનો અભ્યાસક્રમ લીધો, જેમાં બૌદ્ધ ધર્મ એક સભ્યતાથી બીજી સભ્યતામાં કેવી રીતે ગયો અને દરેક સભ્યતા તેને અલગ રીતે કેવી રીતે સમજે છે તે વિશે વાત કરવામાં આવી હતી. જોકે હું ફક્ત ૧૭ વર્ષનો હતો, પણ એને મારા પર એટલી મજબૂત છાપ પાડી કે મેં કહ્યું, "આ તે છે જેમાં હું સામેલ થવા માંગુ છું, બૌદ્ધ ધર્મની એક સભ્યતાથી બીજી સભ્યતામાં જવાની સમગ્ર પ્રક્રિયા." અને આ તે છે જે મેં મારા બાકીના જીવન દરમિયાન કોઈપણ વિચલન કે પરિવર્તન વિના અનુસર્યું છે.
પ્રિન્સટન: રસાયણશાસ્ત્રથી ચીની ભાષા, વિચાર અને તત્વજ્ઞાન સુધી
પ્રિન્સટન યુનિવર્સિટીમાં, એશિયન અભ્યાસક્રમ વિભાગમાં વધુ વિદ્યાર્થીઓને આકર્ષવા માટે એક નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે, ખૂબ ઓછા વિદ્યાર્થીઓ હતા; તે વિયેતનામ યુદ્ધના શરૂઆતના દિવસો હતા, અને ખૂબ ઓછા અમેરિકનો કોઈ એશિયન ભાષાઓ જાણતા હતા. હું ખૂબ જ ઉત્સાહિત હતો કારણ કે ચાઇનીઝ શીખવાની તક મળી હતી, તેથી મેં અરજી કરી, અને મને સ્વીકારવામાં આવ્યો. ૧૮ વર્ષની ઉંમરે, મેં પ્રિન્સટનમાં ચાઇનીઝનો અભ્યાસ શરૂ કર્યો, અને ત્યાં મારા સ્નાતકના છેલ્લા બે વર્ષ પૂર્ણ કર્યા.
મને હંમેશા રસ હતો કે ચીનમાં બૌદ્ધ ધર્મ આવ્યો ત્યારે ચીની તત્વજ્ઞાને બૌદ્ધ ધર્મને સમજવાની રીત પર કેવી રીતે અસર કરી, અને પછી બૌદ્ધ ધર્મે ચીની તત્વજ્ઞાન પર કેવી રીતે અસર કરી. તેથી મેં ચાઇનીઝ વિચાર, તત્વજ્ઞાન, ઇતિહાસ, બૌદ્ધ ધર્મ વગેરેનો અભ્યાસ કર્યો. મને ઉનાળામાં સઘન ભાષા શાળાઓમાં મોકલવામાં આવ્યો: એક વર્ષ હાર્વર્ડમાં, એક વર્ષ સ્ટેનફોર્ડમાં શાસ્ત્રીય ચાઇનીઝ શીખવાનું શરૂ કરવા માટે, અને મારી ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, તાઇવાનમાં એક ઉનાળો. મારા સ્નાતક અભ્યાસ માટે હું હાર્વર્ડ પાછો ગયો. મેં ચાઇનીઝ ક્રમના ભાગ રૂપે જાપાનીઝનો અભ્યાસ શરૂ કરી દીધો હતો, અને જ્યારે મેં દૂર પૂર્વીય ભાષાઓમાં માસ્ટર ડિગ્રી મેળવી, ત્યારે મેં ખૂબ જ વ્યાપક ચાઇનીઝ અભ્યાસ કરી લીધો હતો.
ચાઇનીઝ, સંસ્કૃત અને તિબેટીયન: તુલનાત્મક અભ્યાસ
હું ચીની પક્ષને જેટલું સારી રીતે જાણતો હતો એટલી જ સારી રીતે હું ભારતીય પક્ષને જાણવા માંગતો હતો, જેથી બૌદ્ધ ધર્મના વિકાસમાં તેનો શું પ્રભાવ છે તે જોઈ શકું, અને તેથી મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. મને બે વિભાગોમાંથી સંયુક્ત ડોક્ટરેટની ડિગ્રી મળી: સંસ્કૃત અને ભારતીય અભ્યાસ, અને દૂર પૂર્વીય ભાષાઓ વિભાગ. સંસ્કૃત અને ભારતીય અભ્યાસ તિબેટીયન તરફ દોરી ગયા, અને ભાર તત્વજ્ઞાન અને બૌદ્ધ ધર્મના ઇતિહાસ પર હતો.
તમે જાણો છો, મને જ્ઞાનની ખૂબ જ તીવ્ર તરસ છે, તેથી મેં તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના વધારાના અભ્યાસક્રમો લીધા અને આ બધા દરમિયાન વિજ્ઞાનમાં મારો રસ જાળવી રાખ્યો. આ રીતે મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યો, અને અનુવાદોની તુલના કરવાની સામાન્ય બૌદ્ધ પદ્ધતિઓ શીખી. અમે સંસ્કૃતમાં બૌદ્ધ ગ્રંથો જોતા અને પછી જોતા કે તેમનું ચાઇનીઝ અને તિબેટીયનમાં ભાષાંતર કેવી રીતે થયું, તેમજ વિચારોના વિકાસના ઇતિહાસનો અભ્યાસ કરતા અને તે સામાન્ય ઇતિહાસ સાથે કેવી રીતે સંકળાયેલું છે. આ પ્રકારની તાલીમ મારી કારકિર્દી દરમિયાન ખૂબ મદદરૂપ રહી છે.
હાર્વર્ડથી જીવંત પરંપરા સુધી
આ દરમ્યાન, મને હંમેશા રસ હતો કે આ રીતે વિચારવાનો ખરેખર શું અર્થ થશે, એશિયાના આ બધા તત્વજ્ઞાન અને ધર્મો જેનો હું અભ્યાસ કરી રહ્યો હતો - બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મના વિવિધ સ્વરૂપો, અને તાઓવાદ અને કન્ફ્યુશિયનિઝમ. પરંતુ, જીવંત પરંપરાના સંપર્કમાં આવવાની કોઈ વાસ્તવિક તકો નહોતી; એવું લાગતું હતું કે હું પ્રાચીન ઇજિપ્તના ધર્મોનો અભ્યાસ કરી રહ્યો છું. જોકે, મારી રુચિ ખૂબ જ ઊંચી હતી.
પરંતુ, જ્યારે મેં ૧૯૬૭ માં તિબેટીયન ભાષાનો અભ્યાસ શરૂ કર્યો, ત્યારે રોબર્ટ થરમન હાર્વર્ડ પાછા આવ્યા અને અમે સહપાઠીઓ હતા. થરમન ગેશે વાંગ્યાલના નજીકના વિદ્યાર્થીઓમાંના એક હતા અને ઘણા વર્ષોથી તેમની સાથે રહ્યા હતા. તેઓ લગભગ એક વર્ષ સુધી સાધુ પણ રહ્યા હતા અને ધર્મશાળામાં અભ્યાસ કરવા માટે ભારત ગયા હતા. તેમણે જ મને ગેશે વાંગ્યાલ અને ધર્મશાળામાં અભ્યાસ કરવાની શક્યતા વિશે જણાવ્યું હતું, જ્યાં તિબેટીઓ અને પવિત્ર દલાઈ લામા હતા. જ્યારે પણ હું રજાઓ માટે ઘરે જતો ત્યારે હું ન્યુ જર્સીમાં ગેશે વાંગ્યાલના મઠમાં જતો, અને બૌદ્ધ ધર્મ એક જીવંત પરંપરા તરીકે કેવો છે તે સમજવા લાગ્યો. જોકે હું ઘણી વખત ગેશે વાંગ્યાલની મુલાકાત લીધી, મને ક્યારેય તેમની સાથે રહેવા અને અભ્યાસ કરવાની તક મળી નહીં. તેમ છતાં, તેમણે ખરેખર મને ભારત જવા અને ત્યાં મારો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરણા આપી, તેથી મેં ફુલબ્રાઇટ ફેલોશિપ માટે અરજી કરી જેથી હું તિબેટીઓ સાથે ભારતમાં મારા નિબંધ સંશોધન કરી શકું.
હું ૧૯૬૯ માં ૨૪ વર્ષની ઉંમરે ભારત આવ્યો હતો, અને ત્યાં હું પરમ પવિત્ર દલાઈ લામાને મળ્યો અને તિબેટી સમાજમાં સંપૂર્ણપણે ડૂબી ગયો. એવું લાગ્યું કે ત્યાં સુધી મારું આખું જીવન એક કન્વેયર બેલ્ટ પર રહેવા જેવું હતું જે મને ત્યાં લઈ ગયું - ન્યુ જર્સીના એક સામાન્ય પરિવારથી લઈને પ્રિન્સટન અને હાર્વર્ડમાં સંપૂર્ણ શિષ્યવૃત્તિ સુધી, અને હવે દલાઈ લામા અને તેમની આસપાસના મહાન તિબેટી ગુરુઓ સુધી. મેં જોયું કે તિબેટીયન બૌદ્ધ ધર્મ વિશે મેં જે કંઈ અભ્યાસ કર્યો હતો તે ખૂબ જ જીવંત હતું અને અહીં એવા લોકો હતા જેઓ ખરેખર બૌદ્ધ ઉપદેશોમાં દરેક વસ્તુનો અર્થ જાણતા હતા. અહીં તેમની પાસેથી શીખવાની સુવર્ણ તક હતી.
ડેલહાઉસીમાં તિબેટીયન બોલતા શીખવું
જ્યારે હું ભારત ગયો ત્યારે મને તિબેટી ભાષા બોલતા આવડતી નહોતી. હાર્વર્ડના મારા પ્રોફેસર, પ્રોફેસર નાગાટોમીને ખરેખર ભાષાનો ઉચ્ચાર કેવી રીતે કરવો તે ખબર નહોતી. તેઓ જાપાની હતા અને અમે જાપાની વ્યાકરણની દ્રષ્ટિએ તિબેટીયન શીખ્યા, કારણ કે તે સમયે ઉપલબ્ધ એકમાત્ર પાઠ્યપુસ્તકમાં લેટિનની તુલનામાં તિબેટીયન વ્યાકરણ સમજાવવામાં આવતું હતું! લેટિન અને તિબેટીયનમાં કોઈ સામ્યતા નથી, જ્યારે જાપાની વ્યાકરણ વાસ્તવમાં તિબેટીયનની ખૂબ નજીક છે.
મારે ભાષા બોલતા શીખવી હતી, પરંતુ ત્યાં કોઈ પાઠ્યપુસ્તકો કે સામગ્રી ઉપલબ્ધ નહોતી. ગેશે વાંગ્યાલ સાથેના મારા જોડાણ દ્વારા, હું બે યુવાન તુલ્કુ (પુનર્જન્મ લામા) - શાર્પા અને ખામલુંગ રિનપોચેસ - સાથે સંપર્ક કરી શક્યો, જેઓ તેમના મઠમાં થોડા વર્ષો રહ્યા હતા અને અંગ્રેજી ખૂબ સારી રીતે જાણતા હતા. તેઓ ડેલહાઉસીમાં રહેતા હતા, જ્યાં ઘણા તિબેટીયન શરણાર્થીઓ સ્થાયી થયા હતા. ત્યાં, તેમણે કૃપા કરીને મને પર્વતની બાજુમાં એક નાના ઘરમાં તિબેટીયન સાધુ, સોનમ નોર્બુ સાથે રહેવાની વ્યવસ્થા કરી. તે અંગ્રેજી જાણતો ન હતા, હું તિબેટીયન બોલી શકતો ન હતો, પરંતુ સાથે રહેતા, અમારે કોઈક રીતે વાતચીત કરવી પડતી હતી. અહીં, મારી બૌદ્ધિક અને અન્ય તાલીમ કામમાં આવી. મને બોર્નિયો અથવા આફ્રિકામાં એક માનવશાસ્ત્રી જેવો અનુભવ થયો, જે બીજી ભાષા શોધવાનો પ્રયાસ કરી રહ્યો હોય.
મેં જે બધી એશિયન ભાષાઓનો અભ્યાસ કર્યો હતો તેનાથી મને તિબેટી ભાષાના સ્વર સાંભળવામાં અને થોડી પ્રગતિ કરવામાં ખૂબ મદદ મળી. જ્યારે હું સોનમ સાથે વાતચીત કરવા માંગતો હતો, ત્યારે હું કંઈક લખી લેતો હતો (કારણ કે હું તિબેટીયન કેવી રીતે લખવું તે જાણતો હતો), અને તે મને તેનો ઉચ્ચાર કેવી રીતે કરવો તે કહેતો હતો. અમે આ રીતે સાથે કામ કરતા હતા, અને મેં બીજા કોઈ સાથે ભાષાના કેટલાક પાઠ પણ કર્યા હતા. આખરે, બે યુવાન રિનપોચે એ મને તેમના શિક્ષક, ગેશે ન્ગાવંગ ધારગ્યે સાથે અભ્યાસ કરવાનું સૂચન કર્યું.
ગૌશાળામાં લેમ-રિમ અભ્યાસ
હું મારો નિબંધ લખવા માટે ભારત આવ્યો હતો, અને ગુહ્યસમાજના ખૂબ જ વિશાળ તંત્ર વિષય પર સંશોધન કરવાની યોજના હોવા છતાં, પરમ પૂજ્ય દલાઈ લામાના શિક્ષકોમાંના એક, સેરકોંગ રિનપોચે, જેમની પાસે હું સલાહ માટે ગયો હતો, તેમણે મને સમજાવ્યું કે તે સંપૂર્ણપણે વિચિત્ર છે, અને હું તેના માટે સંપૂર્ણપણે તૈયાર નથી. પરમ પૂજ્યના જુનિયર શિક્ષક, ત્રિજંગ રિનપોચેએ સૂચવ્યું કે હું પહેલા લેમ-રિમ, માર્ગના ક્રમિક તબક્કાઓનો અભ્યાસ કરું. તે સમયે તેના વિશે કંઈ ભાષાંતર કરવામાં આવ્યું ન હતું, તેથી તે મારા માટે સંપૂર્ણપણે નવું હતું. તે દિવસોમાં તિબેટી બૌદ્ધ ધર્મ પર ઉપલબ્ધ ફક્ત એલેક્ઝાન્ડ્રા ડેવિડ-નીલ, ઇવાન્સ-વેન્ટ્ઝ, લામા ગોવિંદા અને કેટલાક અન્ય પુસ્તકો હતા. મેં ગેશે ન્ગાવંગ ધારગ્યે સાથે લેમ-રિમની મૌખિક પરંપરાનો અભ્યાસ કર્યો અને પછી તેના આધારે મારો નિબંધ કર્યો.
હું ડેલહાઉસીમાં ખૂબ જ આદિમ રીતે રહેતો હતો, મારા ઘરમાં પાણી નહોતું અને શૌચાલય પણ નહોતું. જોકે, ગેશે ધારગ્યે જ્યાં રહેતા હતા તે એના પેહલા ગૌશાળા હતી. તેમના પલંગ માટે બસ પૂરતી જગ્યા હતી, અને પલંગની સામે થોડી જગ્યા હતી જ્યાં તેમના ત્રણ યુવાન રિનપોચે શિષ્યો અને હું માટીના જમીન પર બેસતા જ્યારે તેઓ શીખવતા હતા. ઝાડો રિનપોચે શાર્પા અને ખામલુંગ રિનપોચે અને મારી સાથે જોડાયા હતા; તેઓ પાછળથી પરમ પવિત્ર દલાઈ લામાના મઠ, નામગ્યાલ મઠના મઠાધિપતિ બન્યા. માખીઓ અને અન્ય તમામ પ્રકારના જંતુઓથી ભરેલા આ ગૌશાળામાં અમે અભ્યાસ કરતા હતા.
આ ખરેખર રોમાંચક સમયગાળો હતો કારણ કે ઘણી બધી નવી વસ્તુઓ શરૂ થઈ રહી હતી. પરમ પૂજ્ય દલાઈ લામાએ અમે શું કરી રહ્યા હતા, અમારા અભ્યાસમાં રસ લીધો, અને પછી અમને તેમના માટે અનુવાદ કરવા માટે કેટલાક નાના ગ્રંથો આપ્યા. જ્યારે પરમ પૂજ્યએ ધર્મશાળામાં તિબેટીયન પુસ્તકો અને આર્કાઇવ્ઝનું પુસ્તકાલય બનાવ્યું, ત્યારે તેમણે ગેશે ધારગ્યેને પશ્ચિમી લોકો માટે શિક્ષક બનવા અને શાર્પા અને ખામલુંગ રિનપોચેસ, જેમણે મને મદદ કરી હતી, તેમને અનુવાદક બનવા કહ્યું. મેં પૂછ્યું કે શું હું પણ મદદ કરી શકું છું અને પરમ પૂજ્યએ કહ્યું, "હા, પણ પહેલા અમેરિકા પાછા જાઓ, તમારો નિબંધ સોંપો, તમારી ડિગ્રી મેળવો, અને પછી પાછા આવો."
સેરકોંગ રિનપોચે સાથે યાદશક્તિ અને નમ્રતાની તાલીમ
૧૯૭૪ માં, મેં પરમ પવિત્ર દલાઈ લામાના એક શિક્ષક, સેરકોંગ રિનપોચે સાથે અભ્યાસ શરૂ કર્યો, જેમને હું ૧૯૬૯ માં પહેલી વાર મળ્યો હતો. ધર્મશાલામાં અમારા સંપર્કની શરૂઆતથી જ, તેમણે જોયું કે મારામાં તેમના માટે અને આખરે પરમ પવિત્ર દલાઈ લામા માટે અનુવાદક બનવાનો કર્મ સંબંધ છે, અને તેથી તેમણે મને આમાં તાલીમ આપી. જોકે હું પહેલાથી જ પુસ્તકોનું ભાષાંતર કરી રહ્યો હતો, આ મૌખિક અનુવાદ અને શિક્ષણની તાલીમ હતી. તેઓ મને તેમની પાસે બેસાડતા અને દેખાડતા કે તેઓ જુદા જુદા લોકો સાથે કેવી રીતે વર્તતા. તેઓ મારી યાદશક્તિને પણ તાલીમ આપતા: જ્યારે પણ હું તેમની સાથે હોઉં ત્યારે તેઓ અચાનક અટકી જતા અને કહેતા, "મેં હમણાં જે કહ્યું તે શબ્દ-શબ્દ પુનરાવર્તન કરો," અથવા, "તમે જે કહ્યું તે શબ્દ-શબ્દ પુનરાવર્તન કરો."
બીજા વર્ષે જ્યારે તે બીજા પશ્ચિમી લોકોને શીખવી રહ્યો હતો ત્યારે મેં તેમના માટે અનુવાદ કરવાનું શરૂ કર્યું. તે મને ક્યારેય એકલા કંઈ શીખવતો નહીં, હંમેશા બીજા કોઈ માટે અનુવાદ કરીને શીખતો હતો - કાલચક્ર સિવાય. કાલચક્ર, તે મને ખાનગીમાં શીખવતા હતા; તેમણે જોયું કે મારો કોઈ ઊંડો સંબંધ છે. મને ક્યારેય કોઈપણ શિક્ષણ દરમિયાન નોંધ લેવાની મંજૂરી નહોતી, પરંતુ હંમેશા બધું યાદ રાખવું પડતું અને પછી તે લખવું પડતું. થોડા સમય પછી, તે મને પાઠ પછી નોંધો લખવા પણ દેતો નહીં. તે મને અન્ય કામો આપતા, અને પછી હું ફક્ત મોડી રાત્રે બધું લખી શકતો.
જેમ ગેશે વાંગ્યાલે પોતાના નજીકના વિદ્યાર્થીઓ સાથે કર્યું હતું, તેમ સેરકોંગ રિનપોચે પણ મને હંમેશા ઠપકો આપતા. મને યાદ છે કે એક વાર હું તેમના માટે ભાષાંતર કરી રહ્યો હતો, ત્યારે મેં તેમને પૂછ્યું કે તેમણે એક શબ્દ કહ્યું હતું તેનો અર્થ શું છે કેમકે એનો અર્થ મને સમજાયો નહીં. તેમણે મને ઠપકો આપ્યો અને કહ્યું, "મેં તને સાત વર્ષ પહેલાં તે શબ્દ સમજાવ્યો હતો. તને તે કેમ યાદ નથી? મને યાદ છે!"
તેમનું મારા માટે પ્રિય નામ "મૂર્ખ" હતું અને જ્યારે હું એવી રીતે વર્તુ, ખાસ કરીને બીજા લોકોની સામે, ત્યારે તેઓ ક્યારેય નિર્દેશ કરવાનું ચૂકતા નહોતા. આ ઉત્તમ તાલીમ હતી. મને યાદ છે કે એક વાર, જ્યારે મેં પરમ પવિત્ર દલાઈ લામા માટે અનુવાદ કર્યો હતો, ત્યારે લગભગ ૧૦,૦૦૦ હાજર લોકો હતા, અને પરમ પવિત્રએ મને રોક્યો, હસ્યા અને કહ્યું, "તેમણે હમણાં એક ભૂલ કરી." હંમેશા મૂર્ખ બોલવાની મારી તાલીમથી, હું અનુવાદ ચાલુ રાખી શક્યો અને ફક્ત ગાલીચા નીચે છુપાઈ નહોતો જતો. અનુવાદ માટે અવિશ્વસનીય ધ્યાન અને જબરદસ્ત યાદશક્તિની જરૂર પડે છે, તેથી હું ખૂબ જ ભાગ્યશાળી હતો કે મને માત્ર બૌદ્ધિક તાલીમ જ નહીં, પણ પરંપરાગત તિબેટીયન તાલીમ પણ મળી.
મેં સેરકોંગ રિનપોચે સાથે ૯ વર્ષ સુધી ખૂબ જ સઘન તાલીમ લીધી. મેં તેમના માટે ભાષાંતર કર્યું, તેમના પત્રો અને મુસાફરીમાં મદદ કરી, અને તે બધા સમય દરમિયાન, તેમણે મને ફક્ત બે વાર "આભાર" કહ્યું. આ મારા માટે ખૂબ મદદરૂપ પણ હતું કારણ કે, જેમ તેઓ કહેતા હતા, હું શું અપેક્ષા રાખું છું? કે મારા માથા પર થપથપાવ થશે અને પછી કૂતરાની જેમ હું મારી પૂંછડી હલાવીશ? અનુવાદ માટે વ્યક્તિની પ્રેરણા બીજાઓને લાભ આપવા માટે હોવી જોઈએ, "આભાર" થી પ્રશંસા મેળવવા માટે નહીં. અલબત્ત, મારા બધા બૌદ્ધ ધ્યાન અને અભ્યાસ પરંપરાગત તાલીમની આ પ્રક્રિયામાંથી ક્યારેય ગુસ્સે થયા વિના કે હાર માની લીધા વિના પસાર થવા માટે એકદમ જરૂરી હતા.
પશ્ચિમ તરફ પાછા ફરવું
એકંદરે, મેં વિશ્વભરના ૭૦ થી વધુ દેશોમાં મુસાફરી કરી અને શિક્ષણ આપ્યું. આ બધા દરમિયાન, મેં મારી દૈનિક ધ્યાન અભ્યાસ જાળવી રાખી, જે મને આગળ વધવામાં ખૂબ મદદરૂપ થઈ. જેમ જેમ સમય પસાર થતો ગયો, મને શિક્ષણ અને પ્રવચન માટે વધુ સ્થળોએ આમંત્રણ મળતું રહ્યું. પ્રવચન પ્રવાસો લાંબા અને લાંબા થતા ગયા; સૌથી લાંબો પ્રવાસ પંદર મહિનાનો હતો - દર અઠવાડિયે બે કે ત્રણ અલગ અલગ શહેરો, બધે મુસાફરી કરતો. આ બધી મુસાફરી સાથે, તે બૌદ્ધ ધ્યાન અભ્યાસ હતી જેણે મને આ બધું કરવાની સ્થિરતા આપી, ખાસ કરીને કારણ કે હું હંમેશા એકલો મુસાફરી કરતો હતો.
આટલા વર્ષોમાં મેં ઘણા પુસ્તકો લખ્યા હતા અને એક સમયે મને લાગ્યું કે ભારતમાં રહીને મારા પ્રકાશકો, સ્નો લાયન સાથે કામ કરવું ખૂબ સરળ નહોતું. હું ઇન્ટરનેટની દિશામાં પણ જવા માંગતો હતો અને ભારતમાં આ કરવું ખૂબ મુશ્કેલ હતું. તેથી, ૧૯૯૮ માં હું ભારતથી પશ્ચિમ તરફ ગયો. મને આમંત્રણ આપતી વિવિધ જગ્યાઓનો એક વર્ષ પ્રયાસ કર્યા પછી, મેં બર્લિન, જર્મનીમાં સ્થાયી થવાનું નક્કી કર્યું. હું પહેલેથી જ જર્મન જાણતો હતો તેથી તે કોઈ સમસ્યા નહોતી, અને ત્યાં મને સૌથી વધુ સ્વતંત્રતા આપવામાં આવી હતી. આ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું; હું કોઈપણ સંગઠન સાથે બંધાયેલ રહેવા માંગતો ન હતો. બર્લિન પૂર્વી યુરોપિયન દેશો, રશિયા અને ભૂતપૂર્વ સોવિયેત પ્રજાસત્તાકોમાં સરળતાથી મુસાફરી કરવાનું ચાલુ રાખવા માટે પણ એક અનુકૂળ સ્થાન હતું જ્યાં હું વારંવાર શિક્ષણ આપતો હતો અને જેની સાથે મને ખાસ ગાઢ જોડાણ અનુભવાયું.
હું પશ્ચિમમાં ૩૦,૦૦૦ થી વધુ પાનાની અપ્રકાશિત હસ્તપ્રતો લઈને પહોંચ્યો - મેં લખેલા ઘણા અધૂરા પુસ્તકો, તેમના જોડે વાંચવા નોંધો, મેં અભ્યાસ કરેલા ગ્રંથોના અનુવાદો, અને મારા પોતાના પ્રવચનોનું અનુલેખન અને મારા શિક્ષકોના પ્રવચનો જેનું મેં અનુવાદન કર્યું હતું. પરમ પવિત્ર, તેમના ત્રણ મુખ્ય શિક્ષકો અને ગેશે ધાર્ગ્યેના ઉપદેશોમાંથી મારી લીધેલી નોંધોના ઢગલા પણ હતા. મને ખૂબ ચિંતા હતી કે મારા મૃત્યુ પછી આ બધું કચરામાં ફેંકી દેવામાં ન આવે.
બર્ઝિન આર્કાઇવ્ઝ
છેલ્લી પેઢીના મહાન લામાઓમાંથી સૌથી મહાન સાથે આટલા લાંબા સમય સુધી અભ્યાસ કરવાનો મને અવિશ્વસનીય વિશેષાધિકાર અને અનોખો અનુભવ મળ્યો હતો. મેં જે શીખ્યું અને નોંધ કર્યું હતું તે ખૂબ જ કિંમતી હતું અને ખરેખર વિશ્વ સાથે વિતરણ કરવાની જરૂર હતી. પુસ્તકો, ભલે તે રાખવા માટે ખૂબ જ સુંદર હોય અને ખૂબ જ સુંદર દેખાય, પણ જ્યાં સુધી તમે પ્રખ્યાત પુસ્તક ન લખો ત્યાં સુધી તે ખૂબ મોટા પ્રેક્ષકો સુધી પહોંચતા નથી, જે મારા કોઈપણ પુસ્તકમાં નહોતું. સામાન્ય રીતે, પુસ્તકો લખવા મોંઘા હોય છે; તે ખરીદવા મોંઘા હોય છે; તે લખવામાં ઘણો સમય લાગે છે અને તમે તેને આગામી આવૃત્તિ સુધી સુધારી શકતા નથી. જોકે હું ઇતિહાસનો અભ્યાસ કરવાનો ખૂબ જ મોટો ચાહક છું, હું ભવિષ્ય તરફ જોવાનો પણ મોટો ચાહક છું, અને ભવિષ્ય ઇન્ટરનેટ છે. હકીકતમાં, વર્તમાન પણ ઇન્ટરનેટ છે. તે ધ્યાનમાં રાખીને, મેં મારા બધા કામને વેબસાઇટ પર મૂકવાનું નક્કી કર્યું, અને તેથી મેં નવેમ્બર ૨૦૦૧ માં berzinarchives.com શરૂ કર્યું.
મેં હંમેશા જે મુખ્ય સિદ્ધાંતનું પાલન કર્યું છે તે એ છે કે વેબસાઇટ પરની દરેક વસ્તુ મફતમાં ઉપલબ્ધ હોવી જોઈએ, જેમાં કોઈ જાહેરાત કે વેચાણ હોવું જોઈએ નહીં. વેબસાઇટ પરની સામગ્રીમાં તિબેટીયન બૌદ્ધ ધર્મના તમામ વિવિધ પાસાઓનો સમાવેશ થાય છે, જેમાં ચાર તિબેટીયન પરંપરાઓનો સમાવેશ થાય છે, જોકે મુખ્યત્વે ગેલુગ પરંપરાનો સમાવેશ થાય છે. તિબેટીયન દવા, જ્યોતિષ, બૌદ્ધ ઇતિહાસ, એશિયન ઇતિહાસ, તિબેટીયન ઇતિહાસ અને બૌદ્ધ ધર્મ અને ઇસ્લામ વચ્ચેના સંબંધ પર ઘણી બધી સામગ્રી, તુલનાત્મક સામગ્રી પણ છે. હું ઘણી બધી ભાષાઓમાં ભાષાંતર કરવામાં પણ ખૂબ જ વિશ્વાસ રાખું છું.
મને લાગે છે કે મુસ્લિમ વર્ગ સાથેનું કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને પરમ પવિત્ર દલાઈ લામા આને ખૂબ જ મજબૂતીથી સમર્થન આપી રહ્યા છે. ઇસ્લામિક વિશ્વની મારી યાત્રાઓ અને ત્યાંની યુનિવર્સિટીઓમાં પ્રવચનો આપવાથી, સ્પષ્ટ છે કે ત્યાંના લોકો વિશ્વ વિશે જ્ઞાન મેળવવા માટે તરસ્યા છે. વૈશ્વિક સુમેળ માટે તેમને બાકાત રાખવાનું નહીં, પરંતુ તેમને પણ તિબેટના શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેમને બૌદ્ધ ધર્મમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યા વિના.
ઉપસંહાર
૨૦૧૫ સુધીમાં, બર્ઝિન આર્કાઇવ્ઝ વેબસાઇટ ૨૧ ભાષાઓમાં ઉપલબ્ધ હતી અને દર વર્ષે લગભગ બે મિલિયન મુલાકાતીઓ તેને મળતી હતી. આ ૧૦૦ થી વધુ પગારદાર કર્મચારીઓ અને સ્વયંસેવકોની મહેનતનું પરિણામ હતું. તાજેતરના વર્ષોમાં, પરમ પવિત્ર દલાઈ લામાએ વારંવાર ૨૧મી સદીના બૌદ્ધ ધર્મની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આનાથી પ્રેરિત થઈને, મેં કેટલાક સહસ્ત્રાબ્દીઓની ભરતી કરવાનું નક્કી કર્યું જે ભવિષ્ય માટે વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવા માટે વેબસાઇટને નવીનીકરણમાં મને મદદ કરી શકે. આનાથી studybuddhism.com નો જન્મ થયો છે.
નવી વેબસાઇટમાં સંપૂર્ણપણે પ્રતિભાવી ડિઝાઇન છે, તેથી તે ડેસ્કટોપ અને બધા હેન્ડહેલ્ડ ઉપકરણો પર સારી રીતે દેખાય છે. વપરાશકર્તા પરીક્ષણ અને વિશ્લેષણના આધારે, અમે વપરાશકર્તાઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે રચાયેલ વેબસાઇટ બનાવી છે. અમે અમારી સોશિયલ મીડિયા હાજરીને પણ મોટા પ્રમાણમાં વિસ્તૃત કરી છે, અને સમૃદ્ધ ઑડિઓ અને વિઝ્યુઅલ સામગ્રી ઉમેરી છે. આનો ઉદ્દેશ્ય શરૂઆતથી અદ્યતન સ્તર સુધી સુલભ, સરળતાથી સમજી શકાય તેવું જ્ઞાન પ્રદાન કરીને તિબેટીયન બૌદ્ધ ધર્મમાં રસ ધરાવતા લોકો માટે એક કેન્દ્રિય સ્થાન બનાવવાનો છે. અમે એવા વપરાશકર્તાઓનો સમુદાય બનાવવા માંગીએ છીએ જે સાથે અભ્યાસ કરી શકે, અને ત્યાં શ્રેષ્ઠ શિક્ષણ માટે એક ખુલ્લું મંચ પ્રદાન કરી શકે.
આ તબક્કે, અમે થોડી ભાષાઓ અને મર્યાદિત માત્રામાં અગાઉની સામગ્રીથી શરૂઆત કરી રહ્યા છીએ. ઘણા નવા લેખો ઉમેરવામાં આવ્યા છે, ખાસ કરીને નવા નિશાળીયા માટે. જૂની વેબસાઇટ નવી વેબસાઇટ દ્વારા ઉપલબ્ધ રહેશે, જ્યાં સુધી અમે તેની બધી સામગ્રીને અદ્યતન સંસ્કરણમાં સંપૂર્ણપણે સ્થાનાંતરિત ન કરીએ.
સમાપન સારાંશ
તો, આ મારી વાર્તાનો એક નાનો ભાગ છે. આ બધા દરમ્યાન મેં ખૂબ જ મજબૂત બૌદ્ધ પ્રથા જાળવી રાખી છે. ઉદાહરણ તરીકે, આ મોટાભાગના વર્ષો દરમિયાન મેં દરરોજ લગભગ બે કલાક ધ્યાન કર્યું છે. મેં ઘણી લાંબી ધ્યાન એકાંત પણ કરી છે. આજકાલ મેં મારો ધ્યાનનો સમય ઓછો કરી દીધો છે, પરંતુ હું હજુ પણ ચોક્કસપણે દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ માટે ધ્યાન કરું છું. અને તે કરુણા, યોગ્ય પ્રેરણા, અહંકાર પર કાબુ મેળવવા વગેરે પરના ઉપદેશોમાં મજબૂત ભાર છે, જે મુખ્ય પાસાઓ છે જેના પર હું હંમેશા ભાર મૂકું છું. મારા શિક્ષકોની પ્રેરણાથી, ગેશે વાંગ્યાલથી શરૂ કરીને જેમણે મને પરમ પવિત્ર દલાઈ લામા સુધી લઈ ગયા, અને ત્યાંથી દલાઈ લામાના શિક્ષકો સુધી, હું એક અર્થપૂર્ણ જીવન જીવી શક્યો છું જે મને આશા છે કે બૌદ્ધ ધર્મના અનુભવલક્ષી અને ઉદ્દેશ્યપૂર્ણ બંને પાસાઓ સાથે, બૌદ્ધ પ્રથા અને બૌદ્ધશાસ્ત્રને એકસાથે મૂકવામાં અન્ય લોકો માટે ઉપયોગી અને ફાયદાકારક રહ્યું હશે. કદાચ મારી વાર્તા તમારામાંથી કેટલાકને પણ આવું કરવા માટે પ્રેરણા આપી શકે.