સંબંધોમાં ઈર્ષ્યા સાથે વ્યવહાર કેવી રીતે કરવો

How to jealousy ben blennerhassett unsplash

ઈર્ષ્યા આપણને ચિંતાતુર બનાવે છે કે આપણા મિત્રો અને જીવનસાથી આપણને છોડી દેશે, આપણા સંબંધોમાં ખલેલ પોહોંચશે અને આપણે માનસિક શાંતિ સંપૂર્ણપણે ગુમાવી દઈએ છીએ. આપણે જેટલા ઈર્ષાળુ અને માલિકી જતાવીએ છીએ, તેટલા જ આપણે બીજાને દૂર કરીએ છીએ. આપણા બધામાં અસંખ્ય લોકો અને વસ્તુઓને પ્રેમ કરવાની ક્ષમતા છે તે સમજવું આપણને ઈર્ષ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આપણા મિત્રો, વ્યવસાયો, રમતગમત વગેરે પ્રત્યે પ્રેમ રાખવાથી આપણા જીવનસાથીનો આપણા પ્રત્યેનો કે આપણો તેમના પ્રત્યેનો પ્રેમ ઓછો થતો નથી; હકીકતમાં, તે તેને સમૃદ્ધ બનાવે છે.

ઈર્ષ્યા વિરુદ્ધ દ્વેષ

ઈર્ષ્યા અનેક સ્વરૂપો લઈ શકે છે. જો આપણે કુંવારા હોઈએ અને કોઈ જોડી પ્રત્યે ઈર્ષ્યા અનુભવીએ અથવા કોઈ એવા વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થઈએ જે પહેલેથી જ સંબંધમાં છે, તો તે ખરેખર દ્વેષ છે. આપણે ઈચ્છીએ છીએ કે આપણે તેના બદલે વ્યક્તિનો સ્નેહ અને ધ્યાન પ્રાપ્ત કરી શકીએ, અથવા આપણે ઈચ્છીએ છીએ કે આવો પ્રેમાળ સંબંધ હોય. બંને કિસ્સાઓમાં, આપણી પાસે જે અભાવ છે તે અંગે આપણે દ્વેષ કરીએ છીએ, અને આ અયોગ્યતા અને અન્ય આત્મસન્માનની સમસ્યાઓ લાવી શકે છે.

સંબંધોમાં ઈર્ષ્યા

જ્યારે આપણે સંબંધમાં હોઈએ ત્યારે ઈર્ષ્યા વધુ ખલેલ પહોંચાડી શકે છે. અન્ય વ્યક્તિ પાસે શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, તે આપણા જીવનસાથી અથવા મિત્ર અને ત્રીજી વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે; આપણે સામાન્ય રીતે ડરીએ છીએ કે આપણે ત્રીજા વ્યક્તિ ના કારણે આપણા વિશેષ સંબંધો ગુમાવીશું. આપણે કોઈપણ દુશ્મનાવટ અથવા સંભવિત બેવફાઈ પ્રત્યે અસહિષ્ણુ બનીએ છીએ. ઉદાહરણ તરીકે, જો આપનો જીવનસાથી તેમના પોતાના મિત્રો સાથે ઘણો સમય વિતાવે અથવા આપણા વિના પ્રસંગોમાં હાજરી આપે તો આપણને ઈર્ષ્યા થાય છે. જ્યારે ઘરમાં નવું બાળક આવે છે ત્યારે કૂતરો પણ આ પ્રકારની ઈર્ષ્યા અનુભવે છે. ઈર્ષ્યાના આ સ્વરૂપમાં અસલામતી અને અવિશ્વાસના મજબૂત તત્વો ઉપરાંત રોષ અને દુશ્મનાવટના તત્વો શામેલ છે.

જો આપણે અસુરક્ષિત હોઈએ, તો જ્યારે પણ આપણો જીવનસાથી અથવા મિત્ર અન્ય લોકો સાથે હોય છે, ત્યારે આપણને ઈર્ષ્યા થવા લાગે છે. આ એટલા માટે છે કારણ કે આપણે આપણા પોતાના સ્વ-મૂલ્ય વિશે અનિશ્ચિત છીએ, અને અન્ય વ્યક્તિના આપણા પ્રત્યેના પ્રેમ વિશે અસુરક્ષિત છીએ, જે આપણને આપણા જીવનસાથી પર વિશ્વાસ ન કરવા તરફ દોરી જાય છે. આપણને ડર છે કે આપણને છોડી દેવામાં આવશે. જો આપણો જીવનસાથી અથવા મિત્ર બીજા કોઈની સાથે સમય વિતાવતો ન હોય તો પણ આ ડર હોઈ શકે છે. આત્યંતિક માલિકીપણું સ્વભાવ સાથે, આપણે ચિંતાતુર છીએ કે તેઓ આપણને કોઈપણ ક્ષણે છોડી શકે છે.

ઈર્ષ્યા પર કાબુ મેળવવો

ઈર્ષ્યાનો વ્યવહાર કરવા માટે, આપણે હૃદયમાં દરેકને પ્રેમ કરવાની ક્ષમતા કેવી રીતે છે તેના પર વિચાર કરવાની જરૂર છે - આ આપણા બુદ્ધ-સ્વભાવનું એક પાસું છે. જ્યારે આપણે આ હકીકતની પુષ્ટિ કરીએ છીએ, ત્યારે તે આપણને ઈર્ષ્યાને દૂર કરવામાં મદદ કરે છે તે જોઈને કે એક વ્યક્તિને પ્રેમ કરવાથી અન્યને પ્રેમ કરવો બાકાત નથી. ફક્ત પોતાને વિશે વિચારો અને આપણે કેટલા બધા લોકો અને વસ્તુઓ માટે આપણું પોતાનું હૃદય કેવી રીતે ખોલી શકીએ. ખુલ્લા દિલથી, આપણને આપણા જીવનસાથી, મિત્રો, બાળકો, પાળતુ પ્રાણી, માતા-પિતા, દેશ, પ્રકૃતિ, ભગવાન, શોખ વગેરે માટે પ્રેમ છે. તે બધા માટે આપણા હૃદયમાં જગ્યા છે કારણ કે પ્રેમ વિશિષ્ટ નથી. આપણે આપણા પ્રેમની આ બધી સંબંધિત વસ્તુઓ સાથે વ્યવહાર કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ, દરેક વસ્તુ માટે યોગ્ય રીતે આપણી લાગણીઓને વ્યક્ત કરીએ છીએ. અલબત્ત, આપણે આપણા કૂતરા પ્રત્યે આપનો પ્રેમ અને લાગણી તે રીતે વ્યક્ત કરતા નથી જે રીતે આપણે આપણી પત્ની અથવા પતિ અથવા માતાપિતાને વ્યક્ત કરીએ છીએ!

જો આપણે પોતે ખુલ્લું હૃદય ધરાવી શકીએ, તો આપણા જીવનસાથી અથવા મિત્ર પણ કરી શકે. દરેક વ્યક્તિના હૃદયમાં પ્રેમનો વિસ્તાર કરવાની સમાન ક્ષમતા હોય છે જે અસંખ્ય લોકો અને વસ્તુઓ - સમગ્ર વિશ્વને પણ વિસ્તૃત થાય છે. અપેક્ષા રાખવી એ અયોગ્ય અને અવાસ્તવિક છે કે તેઓ માત્ર આપણા માટે જ પ્રેમ ધરાવે અને અન્ય પ્રેમાળ મિત્રતા કે બહારના હિત ન ધરાવે. શું આપણે તેમના વિશે એટલું ઓછું વિચારીએ છીએ કે આપણને લાગે છે કે તેમના હૃદયમાં આપણા અને અન્ય લોકો માટે કોઈ જગ્યા નથી? શું આપણે ખરેખર તેમને તેમની બુદ્ધ-પ્રકૃતિની પ્રેમની ક્ષમતાઓ અને પરિણામે, જીવનના સૌથી મોટા આનંદમાંથી વંચિત રાખવા માંગીએ છીએ?

અહીં, આપણે જાતીય બેવફાઈ વિશે વાત કરી રહ્યા નથી. એકપત્નીત્વ અને જાતીય વિશ્વાસઘાતના મુદ્દાઓ અત્યંત જટિલ છે અને ઘણા વધુ મુદ્દાઓ લાવે છે. કોઈ પણ સંજોગોમાં, જો આપણા જાતીય ભાગીદારો, ખાસ કરીને આપણા વૈવાહિક જીવનસાથીઓ, બેવફા હોય અથવા અન્ય લોકો સાથે ઘણો સમય વિતાવતા હોય - ખાસ કરીને જ્યારે આપણા સાથે નાના બાળકો હોય - ઈર્ષ્યા, નારાજગી અને માલિકીભાવ ક્યારેય મદદરૂપ ભાવનાત્મક પ્રતિભાવો નથી. આપણે પરિસ્થિતિનો શાંત રીતે સામનો કરવાની જરૂર છે, કારણ કે આપણા જીવનસાથી પર બૂમો પાડવી અથવા તેમને દોષિત અનુભવવાનો પ્રયાસ કરવાથી તેઓ આપણને પ્રેમ કરવા માટે ભાગ્યે જ સફળ થાય છે.

પ્રેમ માટે આપણા હૃદયને ખોલવું

જ્યારે આપણે વિચારીએ છીએ કે ગાઢ પ્રેમાળ મિત્રતા ફક્ત એક વ્યક્તિ સાથે જ હોઈ શકે છે, ત્યારે આપણને લાગે છે કે ફક્ત એક જ વ્યક્તિ છે - આપણા જીવનસાથી અથવા મિત્ર - જેનો પ્રેમ મહત્વપૂર્ણ છે. જો બીજા ઘણા લોકો હશે જે આપણને પ્રેમ કરે છે, તો પણ આપણે તે હકીકતને અવગણીએ છીએ અને વિચારીએ છીએ, "એ ગણાય નહીં." શક્ય તેટલા અન્ય લોકો માટે સતત આપણું હૃદય ખોલવું અને અન્ય લોકો - મિત્રો, સંબંધીઓ, પાળતુ પ્રાણી વગેરે - નો આપણા માટે જે પ્રેમ છે તેનો સ્વીકાર કરવો, કે તે ભૂતકાળમાં હતો અને ભવિષ્યમાં પણ હશે તે આપણને વધુ ભાવનાત્મક રીતે સુરક્ષિત અનુભવ કરવામાં મદદ કરે છે. આ, બદલામાં, આપણને કોઈના પર પ્રેમની વિશિષ્ટ વસ્તુ હોવાનો કોઈપણ ઠરાવણી દૂર કરવામાં મદદ કરે છે.

સર્વજ્ઞતા અને સર્વ-પ્રેમાળ બંનેનો અર્થ દરેકને આપણા મન અને હૃદયમાં રાખવાનો હોય છે. તેમ છતાં, જ્યારે બુદ્ધ માત્ર એક વ્યક્તિ પર અથવા સાથે ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તે અથવા તેણી તે વ્યક્તિ પર ૧૦૦% ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી, દરેક માટે પ્રેમ રાખવાનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ માટેનો પ્રેમ પાતળો છે. આપણે ડરવાની જરૂર નથી કે જો આપણે ઘણા લોકો માટે દિલ ખોલીશું, તો આપણા અંગત સંબંધો ઓછા ગાઢ અથવા પરિપૂર્ણ થશે. આપણે સર્વ-સંતોષકારક બનવા માટે કોઈપણ એક સંબંધ પર કદાચ ઓછા વળગશું અને ઓછા નિર્ભર રહેશું, અને આપણે દરેક વ્યક્તિ સાથે કદાચ ઓછો સમય વિતાવી શકશું, પરંતુ દરેક સંપૂર્ણ સંડોવણી છે. આ આપણા પ્રત્યેના અન્ય લોકોના પ્રેમના સંદર્ભમાં પણ આ જ સાચું છે કે જ્યારે આપણે ઈર્ષ્યા કરીએ છીએ કે તે પાતળું થઈ જશે કારણ કે તેઓ પણ અન્ય લોકો સાથે પ્રેમાળ મિત્રતા ધરાવે છે.

એવું વિચારવું અવાસ્તવિક છે કે કોઈપણ એક વ્યક્તિ આપણું સંપૂર્ણ મેળ હશે, આપણું "બાકીનું અડધું", જે આપણને બધી રીતે પૂરક બનાવશે અને જેની સાથે આપણે આપણા જીવનના દરેક પાસાને સહભાગ કરી શકશું. આવા વિચારો પ્લેટો દ્વારા કહેવામાં આવેલી પ્રાચીન ગ્રીક દંતકથા પર આધારિત છે કે, મૂળરૂપે, આપણે બધા સંપૂર્ણ હતા, જેઓ બે ભાગમાં વહેચાયી ગયા હતા. ક્યાંક "ત્યાં બહાર" આપણું  બીજું અડધું છે; અને સાચો પ્રેમ એ છે જ્યારે આપણે આપણા બીજા ભાગને શોધીએ છીએ અને ફરી મળીએ છીએ. જો કે આ પૌરાણિક કથા પશ્ચિમી રોમેન્ટિકવાદનો પાયો બન્યો હતો, તે વાસ્તવિકતાનો સંદર્ભ આપતો નથી. તેમાં વિશ્વાસ કરવો એ એવા સુંદર રાજકુમાર પર વિશ્વાસ કરવા જેવું છે જે સફેદ ઘોડા પર આપણને બચાવવા આવશે. આપણી બધી રુચિઓ અને જરૂરિયાતોનો સહભાગ કરવા માટે આપણને ઘણા લોકો સાથે પ્રેમાળ મિત્રતાની જરૂર છે. જો આ આપણા માટે સાચું છે, તો તે આપણા જીવનસાથી અને મિત્રો માટે પણ સાચું છે. તેમની બધી જરૂરિયાતો પૂરી કરવી આપણા માટે અશક્ય છે અને તેથી તેમને પણ અન્ય મિત્રતાની જરૂર છે.

સારાંશ

જ્યારે કોઈ નવું વ્યક્તિ આપણા જીવનમાં આવે છે, ત્યારે તેને એક સુંદર જંગલી પક્ષીની જેમ જોવામાં મદદ મળે છે જે આપણી બારી પર આવે છે. જો આપણને ઈર્ષ્યા થાય કે પક્ષી અન્ય લોકોની બારીઓમાં પણ જાય છે, તો તેને પાંજરામાં બંધ કરી દો, તે એટલું દયનીય બની જાય છે કે તે તેની ચમક ગુમાવી દેશે અને મરી પણ શકે છે. જો, માલિકીભાવ વિના, આપણે પક્ષીને મુક્તપણે ઉડવા દઈએ, તો પક્ષી આપણી સાથે હોય તે અદ્ભુત સમયનો આનંદ માણી શકીશું. જ્યારે પક્ષી ઉડી જાય છે, જેમ કે તે સાચું છે, જો તેને યોગ્ય લાગે તો તેને આપણા જોડે સુરક્ષિત લાગે તો તે પાછું ફરીને આવશે. જો આપણે સ્વીકારીએ અને માન આપીએ કે દરેકને આપણી જાત સહિત ઘણી ગાઢ મિત્રતા રાખવાનો અધિકાર છે, તો આપણા સંબંધો વધુ સ્વસ્થ અને લાંબા સમય સુધી ચાલશે.

Top